Archives

આરતી

આજે પૂજા કરતાં સમયે આરતી કરતાં કરતાં “આરતી” નો અર્થ જાણવા સમજવાની તિવ્ર ઈચ્છા થઈ.

મનોમંથન ને તરત જ કરેલું થોડું વાંચન…
પછી,
જે સમજાયું તે ટૂંકમાં લખી રહી છું.

સીધો સાદો અર્થ વિચારીએ તો,
આરતી એટલે અગ્નિનું સૌમ્ય.. ભક્તિ સ્વરૂપ.

આરતી એટલે અહંકાર શૂન્ય થવાની વર્તુળ-ગતિ.
આરતી એટલે આવારા-વૃત્તિની સંસ્થિતિ.
આરતી એટલે અંતરમાં સ્વચ્છંદ છાયાની સમાપ્તિ.
આરતી એટલે મનમાં છૂપાયેલી માયાવી મતિની નિવૃત્તિ.
આરતી એટલે વિરક્તિ.. વૈરાગ્ય..
આરતી એટલે જગ-જંજાળની વિસ્મૃતિ.
આરતી એટલે મન, વચન, કાયાની પૂર્ણાહુતિ થકી ઈશ્વર ભક્તિ.

ઈશ્વરની આરતી થકી થાય આતમ-જાગૃતિ. 🙏🙏
~ આરતી પરીખ ૧૮.૧૦.૨૦૧૯

વિચારસરણી

મુંબઈમાં રહેતા એક ગુજરાતી કુટુંબનો કિસ્સો શૅર કરું છું…. સત્યઘટના છે.

દિકરાએ લવ મૅરેજ કર્યું.
બંને સાથે એક જ ઑફિસમાં નોકરી કરતાં હતાં.
છોકરીએ લગ્ન પહેલાં જ કહી દીધું હતું કે, તે સાવ સાધારણ કુટુંબની છે. લગ્ન પછી પણ એ પોતાનો પગાર માબાપને આપશે. (એના પપ્પાને કોઈ મોટી બિમારી હોય નોકરી છોડી દેવી પડી. દિકરીના પગાર પર ઘર ચાલે.)
છોકરાએ હા પાડી પણ આ વાત પોતાના કુટુંબથી છૂપાવી.

વહુનો પગાર ઘરમાં જમા ન થતાં સમાજની વહુને મેણાંટોણા મારવાની રૂઢિગત આદત તો છે જ… બસ ચાલુ…

દિકરો ચુપ જ રહ્યો… હજુ પણ આ બાબતે ચુપ જ છે.
બે વર્ષ પછી સંયુક્ત કુટુંબ વિખેરાઈ ગયું.

અમે બંને પક્ષે કુટુંબીજનોને ઓળખતા હોય જાણ થતાં દિકરાના માબાપને સમજાવી, સાચી હકીકત જણાવી.

આર્થિક જરૂરિયાત હોવા છતાં, વહુની ભાવના નેક હોવા છતાં પણ દિકરાના માબાપને સમજાવતાં ૪ વર્ષ લાગ્યા.

આ દરમિયાન બિમારીને કારણે વહુના માબાપનું અવસાન થયું ને વહુનો પગાર આપોઆપ ઘરમાં જમા થવા લાગ્યો એવી જાણ થઈ એટલે વડિલોએ ફરી દિકરાને વહુ અને પૌત્ર સાથે ઘરે તેડાવી લીધા.

હવે સંયુક્ત કુટુંબ છે. વહુ સાસુ સસરાનું ધ્યાન રાખે છે. પણ દિલથી નહીં..

વાંક કોનો?
કોને બદલાવાની જરૂર છે?!

માત્ર ને માત્ર..
આપણી રૂઢિચુસ્ત માન્યતા..
આપણી રૂઢિગત વિચારધારા..

વહુ બનતા પહેલાં એ સ્ત્રી છે.. એક કુટુંબની દિકરી છે..

એ પોતાનું બધું જ છોડી તમારા ઘરમાં આવે ત્યારે તમે તમારી માન્યતાઓ.. વિચારસરણી થોડી ઉદાર કરશો તો.. આપોઆપ દરેક સમસ્યાઓના ઉકેલ આવી જશે.
જે પોતાનું બધું જ છોડીને તમારા કુટુંબમાં આવી તેના પ્રત્યે તમે પોતે તો પોતાનો એક રૂઢિગત વિચાર પણ છોડી શકતા નથી.

શાંત મનથી વિચારજો…
સંયુક્ત કુટુંબ પ્રથા આપણી રૂઢિચુસ્ત વિચારસરણીને લીધે જ લુપ્ત થઈ રહી છે.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

©આરતી પરીખ ૧૦.૩.૨૦૧૯

“તથાસ્તુઃ”

૨૦૧૨ માં લખેલી આ રચનાના શબ્દે શબ્દનો મેં જે અનુભવ્યો હતો તે જ ભાવ બરાબર પકડીને મારી આ રચનાનો અનેરો આસ્વાદ કરાવવા બદલ હું વડિલ મિત્ર કૌશિકભાઈનો સહ્રદય આભાર વ્યક્ત કરું છું.

આજ, મને જ પૂછવું છે,
હજુ કેટલું બળવું છે ?!
માટી મહી કદી કોઈને
સ્વેચ્છાથી ભળવું છે ?!

અસ્તિત્વ નવું રળવું છે,
અહંને બહાર ઢોળાવું છે,
ઝરણે ક્યાંથી આવે નીર
જરૂરી સ્વનું ઓગળવું છે,
મનથી મનને મેળવવું છે,

પ્રેમથી જગમાં વરસવું છે,
વસંતે ક્યાંથી ફૂંટે કુંપળ
જરૂરી ઈર્ષા-પર્ણનું ખરવું છે.

હવે મને જ મળવું છે,
અકળ છે એને કળવું છે,
સર્વસ્વ વિલીન કરી
જીવથી શિવમાં ભળવું છે.
©આરતી પરીખ

~~~~~~~~~~~~~~~

આરતી પરીખ મૂળ તો ‘હાઈકુ’ના ચાહક અને હાઈકુના સફળ સર્જક. તેમની હાઇકુ, લખાણ અને વખતો વખત fb ઉપર મુકાતી ચિંતનકણિકાઓમાંથી આધ્યાત્મના સુત્રો જડી આવે ખરા. પણ સાંગોપાંગ ‘સ્વત્વ’ને સમર્પિત હોય તેવી મારા વાંચવામાં આવી હોય તેવી આ પહેલી રચના હશે. કાવ્ય પ્રકારનું નામ પાડ્યા વગર ‘રચના’ શબ્દ વાપરું છું કારણ કે તેમાં છંદ ગેર-હાજર છે તેમ કહેવાય એવું નથી, અને સમગ્ર રચનાને ધ્યાને લઈએ તો છંદની માવજત થઇ હોય તેમ પણ નથી. ક્યાંક, વચ્ચે વચ્ચે, આગિયાની જેમ ઝબકી જતા ગઝલના તત્વો, રચનાને ‘ગઝલ’ તરફ દોરી જશે તેમ લાગે. પણ, ના, આરતીબેન રાજમાર્ગના કવિ નથી. તેમને તેમની પોતાની ‘કેડી’-યાત્રામા વધારે મોજ આવે છે…
અને આવા કાવ્ય શાસ્ત્રના બંધારણને લગતા અ-રસિક નિયમોને ઘડીક કોરાણે મુકીએ અને કવિતાના પ્રવાહમાં ઝંપલાવીએ તો નાનકડા, પાતળા ઝરણાં જેવી દેખાતી કવિતાનો પ્રવાહ વાચકને ‘ડુબાડી’ દઈ શકે એટલો ઊંડો અને ગંભીર છે- એવું દેખાઈ આવશે.
આજ, મને જ પૂછવું છે,
હજુ કેટલું બળવું છે ?!
માટી મહી કદી કોઈને
સ્વેચ્છાથી ભળવું છે ?!

આ કવિતા સ્વગતોક્તિ થી શરુ થાય છે …’હજુ કેટલું બળવું છે?’ કવિતાના હવે પછીના ચરણો તપાસીએ તો જણાશે કે કવિ અહીં ‘બળવું’ શબ્દ ‘જીવવું’ના પર્યાય તરીકે વાપરે છે. બીજી કડીમાં આવતા ‘ભળવું’ શબ્દ સાથે પ્રાસ મેળવાય છે. અને ઘણી ક્ષણો જીવનમાં એવી આવે છે જયારે ‘જીવવું’ બળવા જેવું દાહક જણાય. આજ ભાવને ‘માટી મહી કદી કોઈને સ્વેચ્છાથી ભળવું છે?’ એવો બીજો પ્રશ્ન પૂછીને પહેલા પુછેલા પ્રશ્નને સમજવો સરળ બનાવે છે.
મનોવિજ્ઞાનના શોખીનો આ પ્રશ્નોમાં suicidal tendency શોધી કાઢે એ પહેલા, મને કહી દેવા દો કે ઘડીક તમારા મનોવિજ્ઞાનને મુકો તડકે, અને જુવો કે આ પ્રશ્ન ‘તત્વજ્ઞાન’- કે ‘આત્મજ્ઞાન’ના સિલેબસનો છે! તમારા જ્યુરીસડીક્ષનની બહાર છે, કવિની આ કવિતા.
બીજા ચરણમાં કવિ એક્ષ્ચેન્જ ઓફરની માંગણી કરતાં હોય તેમ બિન્દાસ કહે છે:
અસ્તિત્વ નવું રળવું છે,
અહંને બહાર ઢોળાવું છે,
ઝરણે ક્યાંથી આવે નીર
જરૂરી સ્વનું ઓગળવું છે,
મનથી મનને મેળવવું છે,
પ્રેમથી જગમાં વરસવું છે,
વસંતે ક્યાંથી ફૂંટે કુંપળ
જરૂરી ઈર્ષા-પર્ણનું ખરવું છે.

હવે મને જ મળવું છે,
અકળ છે એને કળવું છે,
સર્વસ્વ વિલીન કરી
જીવથી શિવમાં ભળવું છે.

સ્વનું ઓગળવું, મનથી મનને મેળવવું, અહંને બહાર ઢોળાવું, નવું અસ્તિત્વ રળવું, પ્રેમથી જગમાં વરસવું છે, અકળ છે એને કળવું છે, જીવથી શિવમાં ભળવું છે…. આટલું લાંબુ કવિનું શોપિંગ લીસ્ટ છે. અને કવિની પર્સમાં મૂડી કેટલી છે? ‘અત્યારના અસ્તિત્વ’નું નાણું લઈને શોપિંગમા નીકળેલા કવિ આપણને મુઝવી દઈ શકે, જો આપણે અધ્યાત્મનો કક્કો પાકો ન કર્યો હોય…
બધા શોપિંગ લીસ્ટને પોતાનામાં સમાવી લેતી ‘ઓલ-ઇન-વન’ જેવી માંગણી કવિની છે- ‘જીવથી શિવમાં ભળવું છે’.
ઈર્ષારૂપી પર્ણને ખેરવી નાખવાની તૈયારી હોય, સ્વ-ને ઓગાળવાની પ્રતિબધ્ધતા હોય, બધું મળે પછી ‘જગત ઉપર વરસી પડવાની’ આતુરતા હોય— આ બધા અધ્યાત્મની દુનિયામા ચાલતા ક્રેડિટ-કાર્ડ છે.. સાવ ખાલી પર્સ લઈને આવો, આટલા સંકલ્પના ક્રેડિટ-કાર્ડ લાવો અને ‘જાતને ખોવાની તૈયારી’ બતાવો ..
મારી એક કવિતામાં મેં ધ્રુવ પંક્તિ મૂકી હતી..’મને મટી ને મ્હોરવાનું મન’– કૈક એવા જ ભાવને લઇ આવેલી આ કવિતા મને ગમી, બધાને ગમશે જેઓને ક્યારેક પણ પોતાના શરીરી અસ્તિત્વની પાર શું છે તે જાણવાની ઝંખના થઇ હોય.
મારા આશીર્વાદ ફળતા હોત તો ‘જીવમાંથી શિવમાં ભળવું છે’—એ કડી વાંચીને મેં ‘તથાસ્તુ’ કહ્યું હોત!
©કૌશિક દીક્ષિત

​NRI = Not Required in India

ઘરથી એરપોર્ટ કાર સડસડાટ ચાલવા લાગે ને પ્લેનમાં દેશ તરફ ઉડાન ભરીએ એ પહેલાં તો વિચારો થકી દેશની ધરતી પર પહોંચી ગયા હોઈએ…

વરસાદી મૌસમમાં ભીંજાવાની મજ્જા માણવા લાગ્યાં હોઈએ…
વિચારોનો વંટોળ….
પ્લેન ટેક-ઓફ થતાં શરૂઆત તો હંમેશ મીઠી યાદ..મીઠી વાતોથી જ થાય…પણ દિલની સાવ સાચી વાત કહું તો, 
અડધી પડધી ઊંઘમાં હોઈએ ને અચાનક વાસ્તવિકતાનો સ્વીકાર કરાવવાનો હોય એમ લેન્ડિંગના ઝટકાં સાથે જ એ મીઠી યાદો..વાતો.. ગાયબ..
એરપોર્ટથી બહાર નીકળતાં જ…… 
એ જ ખાડાં-ખબડાવાળા કચરાંથી ખદબદતાં રસ્તાઓ…

અકારણ જ હોર્ન મારી-મારીને માથું પકવતો ટ્રાફિક.. 

ટ્રાફિક રૂલ્સ તોડી મર્દાનગી અનુભવતો આપણો મહાન સમાજ..ટૂંકમાં આપણે સૌ..હું, તમે આપણે બધાં જ..  

(કેટકેટલું ગણાવવું ને લખવું?!!…. 
વ્યક્તિગત સભાનતાનો અભાવ ઠેરઠેર જોવા મળે. 

દેશની કથળતી પરિસ્થિતિ માટે આપણે દરેક વ્યક્તિ/નાગરિક જવાબદાર છીએ. તેમ છતાં દોષનો ટોપલો તો અંતમાં દેશના નેતાઓ ઉપર જ ઢોળીએ છીએ.)
અહીં, અમે NRI પણ બાકાત નથી જ. 
પરાયા દેશમાં ત્યાંના રૂલ્સ હોંશેહોંશે ફોલો કરતાં હોઈએ (કારણ માત્ર એટલું જ કે, ત્યાં રૂલ્સ તોડીશું તો જબરદસ્ત ફાઈન ભરવો પડશે_નો ડર મનમાં છુપાયેલો હોય છે.) ને અહીં એરપોર્ટની બહાર નીકળતાંની સાથે અમે લોકો રીસીવ કરવાં આવેલા મિત્રો-સગાં-સંબંધીઓ પાસે વિદેશની વાહવાહી કરવામાં કશું જ બાકી ન રાખીએ..

૨-૪ વાતો વધારી-ચડાવીને બોલીએ..
દેશને વખોડીએ..

દેશથી દૂર રહું છું તો, દેશવાસીઓને વખોડતાં પહેલાં આપણે બધાં જ_NRI …નો વારો… કાઢવા દો…

વિદેશમાં પાઈ-પાઈનો હિસાબ કરી વાપરતાં હોય પણ એરપોર્ટ ઉપર કસ્ટમ-ક્લીયરન્સમાં સરળતા રહે એ માટે, 

અકારણ જ વ્હીલ-ચેરમાં બેસી કસ્ટમ-ઓફિસર પર વિદેશની કમાણીનો રોફ જમાવતાં NRIને બહુ નજીકથી જોયાં છે.. 

મિત્રો સામે સ્વચ્છતાંના ભાષણ આપી બહાર નીકળી પાનના ગલ્લે… 

“આહાહ..કેટલાં વખતે પાનનો સ્વાદ..” _કહી પાન ચાવતાં…

ને અંતે તો એ જ ટીપીકલ ઇન્ડિયન સ્યાઈલ…. 

મોંઘીદાટ કારનો દરવાજો ખોલી નીચે વળી રસ્તા વચ્ચે જ પાનની પિચકારી………..

(પાનનો સ્વાદ માણવા માટે રસ્તા પર રંગોળી કરવી જરૂરી છે????  પણ, મારે શું ? આપણે ક્યાં અહિયાં રહેવાનું છે?!_Typical Indian Mentality)

દેશની ધરતી ઉપર લૅન્ડ થતાં જ ગંદકી પર ભાષણ આપીએ.. ને કારમાં સમાન ગોઠવાય ને ઘર તરફ પ્રયાણ કરીએ કે, તરત જ અમે કે જેમણે, 
૧૦ મીનીટ પહેલાં જ સ્વચ્છતાં ઉપર અંગ્રેજીમાં લાંબુ લચક ભાષણ ઠોક્યું હોય એવાં અમારી જાતને મહાન ગણાવતાં NRI વિદેશમાં અમારાં ઘરથી નીકળ્યાં ત્યારથી અહીં દેશમાં પગ મુક્યો ત્યાં સુધી ચોકલેટ-બિસ્કીટ-કુકીઝ-ચિંગમનો પર્સમાં ભેગો કરલો કચરો… કારની વિન્ડો ખોલી બિન્દાસ રસ્તા વચ્ચે ઉડાડી નાખીએ!!
હવે આ….

નાનપણથી જ પડેલી આદત?

કે 

દેશની હવાની અસર? 

કે 

વિદેશની કમાણી પચાવી નથી  શક્યા_ની સાબિતી?

કે 

ફરી વ્યક્તિગત સભાનતાનો અભાવ ???

કે 

Cleanliness…  is Not Required in India__મેન્ટાલીટી?? 

© આરતી પરીખ

Father’s Day

આજે વધારાનું ઘણું કામ નીકળી આવ્યું…

અઢળક કામ..

એક પૂરું કરું ત્યાં બીજું દેખાય…

ક્યારેક તો થયું કે, 

આ ૨૪ કલાકની ગૃહિણીની જિંદગી કરતાં તો working womanની જિંદગી સારી જ હશે….

કદાચ કોઈ કામ અધૂરું રહી ગયું તો, 

“ઓફિસથી થાકીને આવી હતી નું બહાનું તો મળે?!”
જેમ-તેમ કામ પતાવી સમય જોયો તો, બપોરે ૧.૩૦ થઈ ગયેલાં..

કામ.. કામ ને કામ… 

એમાં તો આજે સવારે નાસ્તો કરવાનું પણ ભૂલી ગયેલી..
વિચાર્યું, 

‘દીકરીઓ સ્કુલથી આવે એ પહેલાં જમી લઉં નહિ તો જમતાં-જમતાં પણ ૪ વાર ઉઠવું પડશે..’

કકડીને ભૂખ લાગી હતી, 

થાળી પીરસી જમવાનું ચાલુ કરું…

પહેલો જ કોળીયો હોંઠે…… 

ત્યાં તો…

મારી દીકરીઓનો અવાજ સંભળાયો…

બંને લડતી-ઝગડતી, ધમાલ-મસ્તીમાં આવી પહોંચી…

અચાનક મારો હાથ ખેંચી, 
“માતુશ્રી, માતાજી…મમલી…આઆઆ…” 
……પહેલો કોળીયો ખાઈ ગઈ…
હું એક ક્ષણમાં જ ૧૭ વર્ષનો મોટો કુદકો મારી,

..પપ્પાની તોફાની, નખરાળી, થોડી અલ્લડ …લાડકી દીકરી બની ગઈ…
એક નટખટ મુસ્કાન…આંખોમાં અલ્લડ અદા…

પપ્પા જમવા બેસે ને પહેલો કોળીયો હંમેશા હું જ….
ત્યાં તો અચાનક,

મારા મોઢામાં એક કોળીયો…

“મારી મમલીને હપ્પા…”
મારા પપ્પાથી જોજનો દૂર વસતી હું,

એ ટચુકડી આંગળીઓમાં પપ્પાનો પ્રેમાળ સ્પર્શ પામી ગઈ.

Happy Father’s Day

…………………આરતી પરીખ 

મારા આગમનની ના કોઈ ચાહત હતી..

૬ વર્ષ પહેલાંનો એક પ્રસંગ ફરી આજે હચમચાવી ગયો… 
એક ભારતીય કારીગર હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યો. 

એના કુટુંબને જાણ કરી તો, ત્યાંથી મેસેજ આવી ગયો કે, 

“૨૪ વર્ષથી કુટુંબથી દૂર રહ્યો તો હવે એના શબને જોઈ શું કરીશું ?! ત્યાં જ દફનાવી દો…” 

આ જવાબ જે સાથી કારીગરે સાંભળ્યો, એ વ્યક્તિ તો સૂન  થઈ ગયો. 

સાથી કારીગરો પાસેથી જાણવા  મળ્યું કે, 

પોતાના કુટુંબને તારવા માટે… આ વ્યક્તિએ તનતોડ મહેનત કરી હતી.. દર ૨ વર્ષે રજા  મળે એ જતી કરી માબાપ માટે ઘર/ખેતર લીધા, પત્ની માટે ઘરેણાં, છોકરાઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું, અંતે જયારે નોકરી છોડી દેશ પાછા જવાનું નક્કી કર્યું તો, જાણ થઈ કે પત્નીને હૃદયની બીમારી… બાઈપાસ સર્જરી કરાવવી પડશે…શપોતાની  ઉંમરની દરકાર  કર્યા  વગર  આ નવી  જવાબદારી પણ પ્રેમથી નિભાવી. ઓપરેશનના  ખર્ચને પહોંચી વળવા  ઓવરટાઇમ લઇ  ખૂબ  કામ  કર્યું.

દરેક જવાબદારી પ્રેમથી/દિલથી નિભાવી ને અંતે શું મેળવ્યું ?? 
“મારા આગમનની ના કોઈ ચાહત હતી,

ભેટની ચાહત જ એમની આદત હતી,

આજ  એ વાતની મળી દિલને દસ્તક

એટલે જ NRIની પદવી હસ્તક  હતી.” 
…..વિચારે જ દિલ ધડકવાનું ભૂલી ગયું ……
એ જ સમયે Radio Voice 104.2 Bahrain પર,
“चिट्ठी आई है…वतन की मिटटी आई है…

तुने पैसा बहोत कमाया…इस पैसे ने देश छुडाया…

पंछी पिंजरा तोड़ के आजा….

आजा उम्र बहोत है छोटी,

अपने घर मै भी है रोटी….”

…………………………. આરતી પરીખ

(ખોબર, સાઉદી અરેબિયા)

ભારત સરકાર.. સાવધાન….!!!

જલ્લીકટ્ટુ: આઘાત-પ્રત્યાઘાત 
(સાંસ્કૃતિક વિરાસત તથા પ્રાદેશિક અસ્મિતાનો મધપુડો છંછેડાયો)
ભારતમાં તામિલ લોકોને બાદ કરતા કેટલાં લોકોને જલ્લીકટ્ટુની રમત વિષે ખબર હતી? આવી અઢી હજાર વર્ષથી ચાલી આવતી સાંસ્કૃતિક પરંપરા જલ્લીકટ્ટુ ઉપર પ્રતિબંધ આવી ગયો. સર્વોચ્ચ અદાલતે તેના ઉપર નિર્દેશો આપવાનું નક્કી કર્યું હતું. આખરે તેને ચાલુ રાખવા માટે રાતોરાત વટહુકમ લાવવો પડ્યો અને તામિલનાડુની સરકારે વિધાનસભામાં અસાધારણ સત્ર બોલાવીને કાયદો પસાર કરવો પડ્યો. ભવિષ્યમાં ભારત સરકારે “તમિલ અસ્મિતા”નો પ્રશ્ન ઉભો ન થાય તે અંગે સાવધાન રહેવું પડશે. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં યોજાતી બળદગાડાની હરીફાઈ અને કર્ણાટક અને ગોવામાં યોજાતી બળદો તથા આખલાઓની સ્પર્ધાને પણ ભારતની સર્વોચ્ચ અદાલતે પ્રતિબંધિત કરી દીધી છે. ન્યાયતંત્રની વધારે પડતી દખલગીરી દેશને અંધાધુંધીમાં ધકેલી દેશે. 
હજારો વર્ષોથી ચાલી આવતી આવી કેટલીય સાંસ્કૃતિક વિરાસત અને પ્રાદેશિક પરંપરા છેલ્લા પાંચ વર્ષથી વિવાદમાં આવી છે. તેની પાછળ બહુ ઊંડું અને આયોજનબદ્ધ ષડ્યંત્ર હોય તેમ લાગી રહ્યું છે. (આખો લેખ છેલ્લા શબ્દ સુધી વાંચીને પછી તમારી કોમેન્ટ લખજો)
છેલ્લા બે-ત્રણ વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જન્માષ્ટમી નિમિત્તે થતી “દહીં-હાંડી” ઉપર પ્રતિબંધ મુકવાનો અથવા તેને મર્યાદિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. “દહીં-હાંડી” કેવી રીતે કરવી તેના ઉપર ભારતની સર્વોચ્ચ અદાલતે નિયમો ઘડ્યા. તેની પાછળ તર્ક લગાવ્યો છે કે દહીં-હાંડીના કારણે સૌથી નીચે રહેલ તથા સૌથી ઉપર રહેલ વ્યક્તિઓને ઈજા થાય છે. દહીંહાંડીમાં જે માનવ પિરામીડની રચના થાય છે તે માત્ર ૨૦ ફૂટની હોવી જોઈએ તેવું ભારતની સર્વોચ્ચ અદાલતે કહ્યું. સર્વોચ્ચ અદાલતે દહીંહાંડીને “ભયજનક અભિનય” ગણાવ્યો…!!! હજારો વર્ષોથી ચાલતી આવતી “દહીંહાંડી”ની પરંપરાને અટકાવવામાં આવી. તેની સામે સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધ થયો. ભવિષ્યમાં “મરાઠી અસ્મિતા”નો પ્રશ્ન ઉદ્ભવે તો કોઈ નવાઈ નહિ. જો દહીંહાંડી અંગે હકારાત્મક રીતે વિચારવામાં નહિ આવે તો આવતી જન્માષ્ટમીએ છેલ્લા ત્રણ દિવસથી જે તામિલનાડુમાં જોવા મળ્યું તે મહારાષ્ટ્રમાં જોવા મળે તો કોઈ નવાઈ પામશો નહિ. 
તેવી જ રીતે ઉત્તર ભારત તથા પશ્ચિમ ભારતનો એક મુખ્ય તહેવાર ધૂળેટીમાં પુષ્કળ પાણીનો ઉપયોગ થાય છે તેવું દર્શાવી પાણીના કુદરતી સ્રોતને નુકશાન ન પહોંચાડવા માટે “સુકી હોળી” રમવા માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં ઉજવાતો પતંગોત્સવ પણ હવે આ ષડ્યંત્રકારીઓના હાથમાં આવ્યો છે. પતંગની કાચ પાયેલી દોરીથી પક્ષીઓ મરી જાય છે અને તેને કારણે કેટલાંક વ્યક્તિઓ મોતને ભેટે છે તેમ કહીને ગુજરાત હાઈકોર્ટમાં આ વર્ષે કેસ કરવામાં આવ્યો હતો. ગુજરાતની હજારો વર્ષની પરંપરા “ગરબા”ને નવરાત્રી દરમિયાન કેટલાયે પ્રતિબંધોનો સામનો કરવો પડે છે. રાત્રે દસ પછી માઈક વાગે તો અવાજનું પ્રદુષણ થાય છે અને દર્દીઓ તથા વિદ્યાર્થીઓને ખલેલ પડે છે. મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ગણેશોત્સવની ઉજવણી નિમિત્તે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે તથા પાણીના સ્રોતોને ટકાવી રાખવા માટે ગણેશોત્સવ કેવી રીતે ઉજવવો તેના નિયમો બનાવવામાં આવ્યા છે. 
આવી સાંસ્કૃતિક અને પ્રાદેશિક પરંપરાઓને પ્રતિબંધિત કરવા પાછળ શું કારણ છે તે અંગે સંશોધન કરતા ખુબ જ ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. આવો…વિગતે ચકાસીએ.
શરૂઆત બળદો અને આખલાઓની રમતોથી કરીએ. ભારતમાં હજારો વર્ષોથી બળદનો ઉપયોગ ખેતીકામ માટે થાય છે અને હજુ પણ કેટલાયે વિસ્તારોમાં થઇ રહ્યો છે. ટ્રેક્ટર દરેક જગ્યાએ પહોંચ્યા નથી. આથી બળદ તો ઉપયોગમાં આવે જ છે. બળદ સાચવવા પણ સહેલા છે. પરંતુ આખલાને સાચવવા ખુબ જ અઘરા છે. હજારો વર્ષોથી આખલા સાથે રમતો રમાય છે અને તેના દાખલા વૈદિક સમયમાં તથા મહાભારતના સમયમાં પણ જોવા મળે છે. ભારતમાં ગાય માતા તરીકે પૂજાય છે અને ગાયનું એક આગવું વિશિષ્ટ સ્થાન છે. જો ગાયને ટકાવવી હોય તો આખલા જરૂરી છે. આખલાને લોકો ખવડાવી-પીવડાવીને મજબુત રાખે તો જ આખલો ઉચ્ચ કોટિનું વીર્યદાન કરીને ગાયના વંશને જાળવી શકે. આખલાનું આમ તો કોઈ અન્ય કામ ન હોવાથી આખલાને લોકો તાજોમાજો રાખે એટલા માટે જ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં અને સાંસ્કૃતિક વિરાસતમાં આખલાઓની રમતો સામેલ થયેલ છે. તે બહાને લોકો આખલાને જાળવી રાખે. 

એક ઉદાહરણ હું તમને જણાવી રહ્યો છું તેને વાંચીને તમે સૌ ચોંકી જશો. ગુજરાત સરકારે ગુજરાતની પોતાની શાન ગણાતી ગીરની ગાયને બચાવવા માટે ગુજરાત અને પંજાબ સરકારે બ્રાઝિલથી ૧૦,૦૦૦ ડોઝ ગીર ગાયના આખલાની વીર્ય મંગાવવાનું ગયા વર્ષે (ફેબ્રુઆરી ૨૦૧૬) નક્કી કરેલ છે. બ્રાઝિલને ભાવનગરના મહારાજાએ ગીર ગાય અને આખલાઓ આઝાદી પહેલા ગીફ્ટ આપ્યા હતા તેના કારણે બ્રાઝિલ પાસે આપણી ગીર પ્રજાતિની ગાયોના સર્વશ્રેષ્ઠ આખલાઓ છે. આ આખલાઓને આપણે બચાવી ન શક્યા. આપણા માટે આ શરમજનક કહેવાય કે આપણી પોતાની ગાયની પ્રજાતિને બચાવવા માટે આપણે બ્રાઝિલ પાસે ભિખારીની જેમ હાથ લંબાવવો પડે. (સત્યતા માટે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફેબ્રુઆરી ૧૬, ૨૦૧૬ જુઓ). આવું જ કેરળની મૂળ પ્રજાતિ ગણાતી વેચુર ગાયમાં થયું છે. આખલા ન હોવાના કારણે વેચુર ગાયનું જર્સી અને સ્વીસ સાથે ક્રોસ બ્રીડીંગ કરાવવામાં આવતા કેરળની મૂળ પ્રજાતિ ગણાતી વેચુર ગાય લુપ્ત થવાના આરે છે. તેવી જ રીતે દેવની પ્રજાતિની મહારાષ્ટ્ર અને કર્ણાટકની ગાયો પણ આખલાના અભાવે લુપ્ત થવા પર છે. આવા ઘણા ઉદાહરણો હું આપી શકું છું. પરંતુ આટલા ઉદાહરણો પૂરતા છે. 
હવે ષડ્યંત્ર ક્યાં છે તે જોઈએ. જો આખલા જ ન રહે તો ભારતની મૂળ દેશી ગાયો જ નષ્ટ થઇ જાય. તે અંગેનું આ આયોજનબદ્ધ ષડ્યંત્ર છે. ગુજરાતની ગીર તથા કાંકરેજી ગાય, રાજસ્થાનની રતિ, મધ્યપ્રદેશની નીમારી, ઉત્તરપ્રદેશની પુનવાર, કેરળની વેચુર, મહારાષ્ટ્ર અને કર્ણાટકની દેવની જેવી ગાયો ભારતની સર્વશ્રેષ્ઠ વીસ પ્રજાતિની ગાયો છે. આ ગાયો “એ-૨” પ્રકારનું સર્વશ્રેષ્ઠ દૂધ આપે છે. ગાયોની આ પ્રજાતિઓને જાળવવા માટે આખલા જાળવવા જરૂરી છે. આ વીસ પ્રજાતિઓમાંથી કેટલીક પ્રજાતિઓ લગભગ લુપ્ત થવાના આરે છે તેનું કારણ આખલા છે. આપણે ત્યાં આખલાઓની રમત હજારો વર્ષો પહેલા આના  કારણે જ શરુ થઇ હતી. લોકો આખલાને ખાલી ખાલી તો પોષણ આપે નહિ. રમતો હોય તો આખલાને તેમાં મોકલવા માટે તાજોમાજો રાખવો પડે. તાજોમાજો આખલો ગાયને ઉત્કૃષ્ટ વીર્ય આપીને ભારતીય પ્રજાતિની ગાયોની શ્રેષ્ઠતા જાળવી રાખે. 
હવે ભારતમાં જર્સી ગાયો વસાવવાનું વધી રહ્યું છે. વળી જર્સી ગાય દૂધ ખુબ વધારે આપે છે. પરંતુ જર્સી ગાયનું દૂધ “એ-૧” પ્રકારનું હોય છે જે ભારતની સર્વશ્રેષ્ઠ વીસ પ્રજાતિ ગાયોના “એ-૨” દૂધ કરતા ખરાબ છે. આવું લેબોરેટરીમાં ચકાસણી અને પુરાવાઓના આધારે વિજ્ઞાન કહે છે. ડૉ. કિથ વુડફોર્ડ તેમના પુસ્તક ‘Devil in the Milk: Illness, Health and the Politics of A1 and A2 Milk’માં આ વિષે વિગતે જણાવે છે. તેઓ લખે છે “A1 and A2 beta-casein are basically two types of proteins found in different milk varieties. BCM-7 is an opioid peptide that is released during the digestion of the protein found in A1 milk. Since it is not absorbed well by the human body, it may trigger adverse health effects”.
હવે તમને ખબર પડી કે શાથી આખલાઓની રમતો ઉપર પ્રતિબંધ આવી રહ્યા છે? જો આખલા જ ન રહે તો ભારતની સર્વશ્રેષ્ઠ વીસ પ્રજાતિની ગાયો સંપૂર્ણપણે નષ્ટ થઇ જાય. અને જો તેમ થાય તો જર્સી ગાયથી જ ચલાવવું પડે. જર્સી ગાયના બ્રીડીંગ માટે આપણે અમેરિકા અને યુરોપની કંપનીઓ ઉપર આધાર રાખવો પડે. જર્સી ગાયોના બ્રીડીંગ માટે વીર્ય વિદેશથી મંગાવવું પડે. વીર્ય માટે જેટલા પૈસા માગે તેટલા આપવા પડે. કિંમતી વિદેશી હુંડીયામણ વપરાતું થઇ જાય. હવે તમને આ આયોજનબદ્ધ ષડ્યંત્રની સમજ પડી ને?
જલ્લીકટ્ટુ અને આખલાઓની રમત ઉપર પ્રતિબંધ મુકવામાં અગ્રણી ભાગ ભજવનાર PETA એટલે કે People for Ethical Treatment of Animals નામની સંસ્થા દુનિયાભરમાં બદનામ થયેલ છે. અનેક વિવાદમાં સામેલ છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ તરફથી વર્ષે લગભગ ૩૦૦ કરોડ રૂપિયા મળે છે. આ સંસ્થાનો મૂળ ઉદ્દેશ્ય માનવજાત દ્વારા કરવામાં આવી રહેલા પ્રાણીઓના તમામ પ્રકારના ઉપયોગનો વિરોધ છે. પરંતુ આ જ સંસ્થા ક્રુરતા વગર પ્રાણીઓની કતલ કરવામાં આવે તો તેનો તે વિરોધ કરતી નથી. આમ તેના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે. હવે આ સંસ્થાએ ભારતમાં ચામડાની બનાવટો બનાવવા ઉપર વિરોધ શરુ કર્યો છે. ભારતમાં હજારો વર્ષોથી ચામડાના ઉદ્યોગ દ્વારા લાખો લોકો રોજગારી મેળવે છે. હાલમાં ભારત આશરે ૭,૦૦૦ કરોડ રૂપિયાના ચામડાની નિકાસ કરે છે. આ સંસ્થાનું કહેવું છે કે ભારતમાં પ્રાણીઓ ઉપર ક્રુરતા આચરીને કતલ કરવામાં આવે છે માટે ભારતનું ચામડું ખરીદવું નહિ. હકીકતમાં આ સંસ્થા કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓનો હાથો બનેલી છે. આ સંસ્થાના કાર્યકરો આતંક્વાદની કક્ષાએ પહોંચી ચુક્યા છે. અમેરિકાની એફબીઆઈ દ્વારા આ સંસ્થા દ્વારા ચલાવતા કેટલાંક જૂથોને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. અમેરિકામાં લેબોરેટરીમાં પ્રાણીઓ ઉપર પ્રયોગ કરતી પ્રયોગશાળાને બળી નાખવામાં આવી ત્યારે તેને સળગાવી નાખનારને આ સંસ્થા દ્વારા ૭૦,૦૦૦ ડોલરની મદદ કરવામાં આવી હતી. 
ભારત સરકાર જો હજી નહિ ચેતે અને જો ભારતની હજારો વર્ષોથી ચાલી આવતી આવી કેટલીય સાંસ્કૃતિક વિરાસત અને પ્રાદેશિક પરંપરાને છિન્નભિન્ન કરવાના પ્રયાસ સામે આકરા પગલા નહિ લે અને ન્યાયતંત્રને કાબુમાં નહિ રાખી શકે  તો ભારતમાં દરેક રાજ્યમાં પ્રાદેશિક અસ્મિતા અને પ્રાદેશિક ઓળખ તથા સાંસ્કૃતિક ઓળખના મુદ્દે અંધાધુંધી ફેલાઈ શકે છે. ભારત સરકારે સાવધ રહેવાનો સમય હવે પાકી ગયો છે. 
આફતને હંમેશા અવસરમાં પલટી નાખવામાં માહેર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ અંગે કોઈ પગલા લેશે એ અપેક્ષા અસ્થાને નહિ લેખાય.

© જયેશ શાહ

​ધર્મ, તેના તહેવારો અને તેની ઉજવણીનું વ્યવસાયીકરણ

મારા ઉપર (જયેશ શાહ, વડોદરા) છેલ્લા એક અઠવાડિયાથી જુદા જુદા (પરંતુ જેનો સૂર એક જ છે તેવા) સંદેશાઓ વોટ્સ એપ અને ફેસબુકમાં ઢગલામાં મળી રહ્યા છે. 

જેના નમુના:

“ક્રિસમસ ટ્રી આપણું નથી. આપણે તુલસીમાં દીવા કરીએ છીએ તો તેઓ તેને અંધશ્રદ્ધા ગણે છે. એ લોકો ક્રિસમસ ટ્રીમાં દીવા કરે અને તેને શણગારે તો તે અંધશ્રદ્ધા ન કહેવાય….આપણે કશું પણ કરીએ તો અંધશ્રદ્ધા કહેવાય…વિ. વિ…”……. 

“નવું વર્ષ આપણાથી ન ઉજવાય. તેઓ દિવાળી ઉજવે છે? ચૈત્ર સંવત્સર ઉજવે છે? આપણાથી એમના નવા વર્ષની પાર્ટી ન થાય…વિ. વિ…”

આ અંગે મારે કઈ લખવાની ઈચ્છા ન હોતી. 

પરંતુ એટલા બધા મેસેજ મળ્યા એટલે મને થયું કે હવે તો તેનો જવાબ આપવો જ પડશે. 

કેટલાંને ખબર છે કે આ પૃથ્વીની ઉંમર ૪૫૩.૪ કરોડ વર્ષ છે? કેટલાંને ખબર છે કે હિંદુ પદ્ધતિ પ્રમાણે આ પૃથ્વી ઉપર ત્રણ યુગ થઇ ગયા અને ચોથો યુગ ચાલે છે? પહેલો સતયુગ જે ૧૭.૨૮ લાખ વર્ષ ચાલ્યો. બીજો ત્રેતાયુગ જે ૧૨.૯૬ લાખ વર્ષ ચાલ્યો. ત્રીજો દ્વાપર યુગ કે જે ૮.૬૪ લાખ વર્ષ ચાલ્યો. આમ આ ત્રણ યુગના કુલ વર્ષ ૩૮.૮૮ લાખ વર્ષ થયા. હાલમાં કલિયુગ ચાલી રહ્યો છે જે ૧૮ ફેબ્રુઆરી ૩૧૦૨ (બીસી)થી ચાલી રહ્યો છે. એટલે કે કલિયુગના કુલ લગભગ ૫,૧૧૯ વર્ષ થયા. કલિયુગ કુલ ૪.૩૨ લાખ વર્ષ ચાલવાનો છે.

 હવે આપણા અવતારો જોઈએ તો ત્રેતાયુગમાં વામન, પરશુરામ અને રામચંદ્રજી થયા હતા. ભગવાન શ્રીકૃષ્ણ જન્મ્યા ત્યારે દ્વાપર યુગના ૧૨૬ વર્ષ જ બાકી હતા. ભગવાન કૃષ્ણ આજથી લગભગ ૫,૨૪૫ વર્ષ પહેલા થયા હતા. આ બધા વર્ષો આર્કિયોલોજી દ્વારા કાર્બન ડેટિંગ આધારે ચકાસણી થયા પછી જાહેર થયેલ છે. રામસેતુ અને ભગવાન રામના સમય અંગેની ચકાસણી વિશ્વ પ્રસિદ્ધ નાસા દ્વારા કરવામાં આવેલી છે. ( શ્રીમદ ભાગવત પુરાણના ત્રીજા સ્કંધનો અગિયારમો અધ્યાય જોઈ લેવો. તેમાં આ બધી ગણતરી આપેલી છે.)

હવે ઇસ્લામ જોઈએ તો ઇસ્લામ ધર્મની સ્થાપના લગભગ ૧,૪૩૮ વર્ષ પહેલા થઇ હતી અને ખ્રિસ્તી ધર્મની સ્થાપના ૨,૦૧૭ વર્ષ પહેલા થઇ હતી. હિંદુ ધર્મ લાખો વર્ષ પુરાણો છે. હિંદુ સંસ્કૃતિ અને સભ્યતા લાખો વર્ષો પહેલાથી છે. તેની સામે ઈસ્લામને માત્ર ૧,૪૩૮ અને ખ્રિસ્તીને માત્ર ૨,૦૧૭ વર્ષ જ થયા છે. એનો મતલબ એવો થયો કે આ બંને ધર્મો ભલે અનુયાયીઓની સંખ્યાના પ્રમાણમાં હિંદુ કરતાં ખુબ જ વધારે હોય પરંતુ તેમના ધર્મોની સભ્યતા અને સંસ્કૃતિ હજુ નાના બાળક જેવી છે. આ ધર્મો અનુભવથી ઘડાઈ રહ્યા છે. તેઓને પીઢ બનતા હજી હજારો વર્ષ નિકળી  જશે. 

હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને સભ્યતા वसुधैव कुटुम्बकम्માં માનનારી છે. હિંદુ સંસ્કૃતિ आ नो भद्रा क्रतवो यन्तु विश्वत:એટલે કે “દરેક દિશાએથી અમને સુન્દર વિચારો પ્રાપ્ત થાઓ” એમાં માનનારી છે. હિંદુ સભ્યતા संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम् એટલે કે “આપણે સૌ કદમ થી કદમ મિલાવીને સાથે ચાલીએ, આપણે સૌ એકબીજાના સ્વરમાં સ્વર મિલાવીને બોલીએ, આપણા સૌના મન એક થાય”ની પરંપરામાં માને છે. હિંદુ સંસ્કૃતિ अयं निज: परो वेति गणना लघुचेतसाम्, उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्માં માનનારી છે. એટલે કે “આ મારું છે, આ મારું નથી એવી માનસિકતા હિંદુ સભ્યતાનો ભાગ નથી. 

*હિંદુ સભ્યતા કહે છે “સમગ્ર વિશ્વ એક કુટુંબ છે”. પ્રત્યેક સાચો હિંદુ समानो मंत्र: समिति समानी समानं व्रतं सहचित्तमेषाम | समानं मन्त्रभि मंत्रये व: समानेन वो हविषा जुहोमि ||માં માનનારો છે. समानी व आकूति: समाना हृदयानि व: | समानमस्तु वो मनो यथा व: सुसहासति ||નું આચરણ કરનારો છે.*

આવી ભવ્યતા અને દિવ્યતા ધરાવતી હિંદુ સભ્યતાનો ભાગ હોય તેવા કહેવાતા “હિંદુ ધર્મ રક્ષકો” જયારે ખ્રિસ્તી નવ વર્ષે સંદેશા મોકલે કે:

“ક્રિસમસ ટ્રી આપણું નથી. આપણે તુલસીમાં દીવા કરીએ છીએ તો તેઓ તેને અંધશ્રદ્ધા ગણે છે. એ લોકો ક્રિસમસ ટ્રીમાં દીવા કરે અને તેને શણગારે તો તે અંધશ્રદ્ધા ન કહેવાય….આપણે કશું પણ કરીએ તો અંધશ્રદ્ધા કહેવાય…વિ. વિ…”……. “નવું વર્ષ આપણાથી ન ઉજવાય. તેઓ દિવાળી ઉજવે છે? ચૈત્ર સંવત્સર ઉજવે છે? આપણાથી નવા વર્ષની પાર્ટી ન થાય…વિ. વિ…”

આવા સંદેશા જોઇને બે ઘડી મૂંઝાઈ જવાય એમ છે. મારે એવું સ્પષ્ટપણે કહેવું છે કે ઇસ્લામ અને ખ્રિસ્તી ભલે સમગ્ર દુનિયામાં છવાયા હોય પરંતુ હજુ તે ધર્મો અને તે સભ્યતાને હિંદુ સંસ્કૃતિ અને હિંદુ સભ્યતાની કક્ષાએ પહોંચતા હજારો વર્ષો લાગશે. એટલે તે ધર્મો અને તે સભ્યતા હિંદુ સંસ્કૃતિ અને હિંદુ સભ્યતા સાથે કેવું સંકુચિત વલણ રાખે છે તે તરફ  ન આપવું જોઈએ એવો મારો અંગત મત છે. 

હા….સાથે સાથે લાખો વર્ષ જૂની અતિ વિકસિત હિંદુ સંસ્કૃતિ અને સભ્યતા ભવિષ્યમાં ભૂંસાઈ ન જાય અને તે ગમે તેવા સંજોગોમાં પણ અડીખમ ટકી રહે તે જોવાની સૌ હિંદુઓની ફરજ બને છે. પરંતુ જેને હિંદુ સંસ્કૃતિના ગ્રંથો જેવા કે ચાર વેદ, રામાયણ, મહાભારત, ગીતા, ઉપનિષદ, પુરાણો જેવા ગ્રંથોને હાથ પણ નથી લગાડ્યો કે એવા ગ્રંથોના નામ પણ પુરા નથી જાણતા એવા કહેવાતા હિંદુઓ “ધર્મરક્ષક” બનીને સોશિયલ મીડિયામાં લાગી પડ્યા છે એની સામે મારો ખુલ્લો વાંધો છે. આવા હિન્દુઓને એવું લાગે છે  કે ખ્રિસ્તી નવું વર્ષ એટલે શરાબ-કબાબ અને પાર્ટી-ડાન્સ-મઝા અને મઝા. 

પરંતુ એ પૂર્ણ સત્ય નથી. હકીકતમાં જો કોઈ સાચા  ખ્રિસ્તીને પૂછીએ કે “આવીએ…આજે રાત્રે તારે ત્યાં? શરાબ-કબાબ અને પાર્ટી-ડાન્સ માટે?” ત્યારે એનો જવાબ હશે – “અડધી રાતે આવશો તો અમે તો ચર્ચમાં હોઈશું. માસ એટેન્ડ કરવુ પડે.” આ માસ એટલે ખ્રિસ્તીઓની ચર્ચમાં થતી સમૂહ પૂજા. આવી પૂજા દર રવિવારે થતી હોય છે અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એ જરા જૂદી અને વધારે લાંબી હોય. ત્યારપછી રંગારંગ કાર્યક્રમ કે આતશબાજી હોય. અને ઘરે આવીને મિત્રો-સગા વહાલા સાથે ખાવા-પીવાનું અને થોડી મોજમસ્તી માટે ગાવા-નાચવાનું. હકીકતમાં જે ધર્મનું  ઉદભવસ્થાન જ્યાંનું હોય ત્યાંના પ્રદેશની સંસ્કૃતિ અને સભ્યતા  તહેવારોની ઉજવણીમાં પણ ભળે. યુરોપમાં જે તે સમયે ફળોના વાઈનનુ ચલણ રસોઈમાં અને ખાવાના ટેબલ પર જમતી વખતે હતું અને છે. તો જો તેઓ દ્વારા નવા વર્ષની ઉજવણીમાં પણ વાઈન પીવામાં અને પીરસવામાં આવે તો તેઓ માટે કંઈ અજૂગતુ ન કહેવાય. એમાં હાર્ડ ડ્રીંક એટલે વ્હિસ્કી-રમ-વોડકાનો ઉપયોગ ન હોતો થતો પણ એમ તો આપણે પણ જન્માષ્ટમીમાં કયા ધાર્મિક વિધી-વિધાન મુજબ જુગાર રમીએ છીએ? એવું કયા શાસ્ત્રમાં લખેલુ છે? 

હકીકતમાં સમગ્ર વિશ્વમાં જો કોઈ ધર્મનુ વ્યવસાયીકરણ સૌથી વધારે થયુ હોય તો તે ખ્રિસ્તી ધર્મ અને તેના તહેવારોનું છે. ઘર-કુટુંબમાં થતી પાર્ટીને દુનિયાના દરેક ભાગમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓએ વ્યાવસાયિક પાર્ટીઓ બનાવી દીધી અને દરેક ખૂણે-ખાંચરે આવી પાર્ટીઓ થવા લાગી. અને તેનું જોઇને હવે અન્ય ધર્મોમાં પણ વ્યવસાયીકરણ થવા માંડ્યું છે. હિંદુ કે ઇસ્લામ ધર્મ પણ તેમાં અપવાદ નથી. 

આવા કહેવાતા હિંદુઓ કે જેઓ “ધર્મરક્ષક” બનીને સોશિયલ મીડિયામાં લાગી પડ્યા છે તેઓને મારો ખુલ્લો પડકાર છે  કે  જો તમને હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને સભ્યતાની બહુ જ ચિંતા હોય તો  બીજુ કંઈ નહી પણ ગુજરાતના ગરબાનું એટલું માર્કેટીંગ કરો કે દુનિયાના દરેક ખુણે નવરાત્રીના નવ દિવસો દરમ્યાન બધી કન્યાઓ ચણિયા-ચોળીમાં અને પુરુષો કેડિયા-ચોયણામાં ગરબા રમતા દેખાય. અને દશમે દિવસે સવારથી જ બધા ફાફડા-જલેબી ઝાપટતા હોય. એના ચાર દિવસ પછી રાતે દૂધ-પૌંઆની પાર્ટીઓ બધાયના ધાબા પર થતી હોય.

આવા કહેવાતા હિંદુઓ કે જેઓ “ધર્મરક્ષક” બનીને સોશિયલ મીડિયામાં લાગી પડ્યા છે તેવાઓને મારે કહેવું છે  કે આખો પ્રભાવ માર્કેટીંગનો છે. કંઈક તો સમજો. આખા તહેવારમાં જે કંઈ લોકભોગ્ય છે એને પોપ્યુલર કર્યુ અને બધાએ સ્વીકાર્યુ. હવે તમને રહી રહીને સંસ્કૃતિ બચાવવાની ચળ ઉપડી?? હવે આ જ સંસ્કૃતિ છે..!! માર્કેટ જ તમામ ધર્મો અને તમામ સભ્યતાઓ અને તમામ સંસ્કૃતિઓને ચલાવે છે અને તેમાં ફેરફારો લાવે છે. કોઈપણ ઘટનાને ધર્મ સાથે જોડતા પહેલા હજાર વાર વિચારવું જોઈએ. મુસ્લિમોને લગતી દરેક બાબતો મોટાભાગે  તેમના મુલ્લા-મૌલવીઓથી પ્રેરિત હોય છે એનો મતલબ એમ નહી કે તેમનો ધર્મ એવું જ કહે છે. ઘણા હિંદુઓ મહંતો અને ગુરુઓ  અને કથાકારો જે કહે છે તેને અનુસરે છે એનો મતલબ એમ નહિ કે હિંદુ ધર્મમાં એવું જ કહ્યું છે. એવું જ અન્ય ધર્મો માટે પણ છે. હવે ધર્મ અને તેના તહેવારો અને તેની ઉજવણીનું વ્યવસાયીકરણ થઇ ગયું છે અને “માર્કેટ ફોર્સ” જ તેને ચલાવે છે અને તેમાં ફેરફારો લાવવામાં મદદરૂપ બને છે. તેનો મતલબ એવો તો નહિ જ કે “માર્કેટ” કહે તે જ સાચો ધર્મ. એવું માની લેવું એ ધર્મની ગરિમાને ઠેસ પહોંચાડવા બરાબર છે. 

તો ચાલો….

કયો ધર્મ સારો તથા સાચો તે વિચાર ફગાવીને આવો…..૨૦૧૭ના નવ વર્ષને શુભ વિચારોથી વધાવીએ અને તમામ પ્રકારની તમામ ધર્મોની કટ્ટરવાદી તાકાતોને ફગાવીએ. તમામ પ્રકારની તમામ ધર્મોની ધિક્કાર ફેલાવતી તાકાતોને મૃત:પ્રાય બનાવી દઈએ અને સાચા અર્થમાં अयं निज: परो वेति गणना लघुचेतसाम्, उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्ને સાકાર કરીએ.
_ written by Ambassador of Parliament of World’s Religions Shri Jayesh Shah, Baroda

National Milk Day 

Today National_Milk_Day 

Enjoy my Article in Namaskar Gujarat
http://www.readwhere.com/read/m/1008973/NAMASKAR-GUJARAT-AUSTRALIANamaskar-Gujarat-No-1-Indian-Gujarati-Monthly-News-Paper/Namaskar-Gujarat-Issue-6#issue/25/1

કામણગારો

​Flashback…..
છેલ્લાં ૧૫-૨૦ વર્ષોમાં “રેડીમેડ ગારમેન્ટ્સ”નું માર્કેટ એવું જોરમાં છે કે, લેંધા-સદરા સાવ જ ભૂલાતાં ચાલ્યાં છે.
આજથી ત્રીસેક વર્ષ પહેલાં મધ્યમવર્ગીય પરિવારમાં વર્ષે એકવાર ઘરે જ દરજી બેસાડાય અને એક-બે તાકામાંથી આખા પરિવારના એકાદ વર્ષ ચાલે એટલાં કપડાં સિવાય જાય. અહીં પરિવાર એટલે કાકા-ફઈ-દીકરી-જમાઈ પણ સહકુટુંબ ગણી જ લેવાના… 
ગામમાં આખું ખાનદાન એનાં કપડાની ડિઝાઈન ઊપરથી ઓળખાય જાય. દરેકને ડઝનબંધ છોકરાવ હોય પણ કોઈના છોકરાં ખોવાય નહિ. બુશકોટ કે ચડ્ડી કે ફ્રોક કે ઘાઘરા-ચોળી કહો… કાપડની ડિઝાઈન એ જ એનાં આખા ખાનદાનની જે-તે વર્ષની ઓળખાણ… ભંગી-ભિખારી-ભંગારવાળો ય ઓળખી જાય.
મારી દ્રષ્ટિએ ખાદીના ઝભ્ભા-લેંઘા એ સૌથી પ્રભાવશાળી ભારતીય પહેરવેશ છે. 
એક જમાનો હતો કે, રજાના દિવસે ઘરમાં દુધ જેવાં ચોખ્ખાં ચણાક, આર (સ્ટાર્ચ) કરેલાં લેંઘા-ઝભ્ભા પહેરવાં એ શ્રીમંતાઈની નિશાની ગણાતી. 
રસ્તે ચાલતાં માણસના લેંઘાની સિલાઈ ને લંબાઈ પરથી ક્યા ધર્મનો અનુયાયી છે એ પણ જાણવું સાવ સહેલું હતું.
અગાસી કે ફળિયામાં સિંદરી/તાર પર ફરફરતો લેંઘો, એની સિલાઈ(ડીઝાઈન)  થકી જે-તે પુરુષની ઉંમર ને પસંદની ચાડી ફૂંકતો તો, વળી  ‘કેવી હાલતમાં સુકાય રહ્યો છે’_એ ઉપરથી મોભી સ્ત્રીની આવડત પણ છતી કરતો. 
લુપ્ત થવાના આરે….

માત્ર તહેવારો પૂરતાં જ દેખાં દેતાં લેંઘા-ઝભ્ભામાં,

… બેડોળ હોય કે ટકલો કે પછી ફાંદાળો કે કાળોકબુડો… 

મને તો હંમેશ કામણગારો જ લાગ્યો છે…!! 

~ આરતી પરીખ