Archive | June 2015
રોમે રોમથી જીવી જાણીએ ગુર્જરી ગુજરાત ભાગ-૨
ગુર્જરી એ બહુ જૂનો ગુજરાતી રાસનો એક પ્રકાર છે. વળી, ગુજરાતની માનેલી આધ્યાત્મિક દેવી એટલે’ય ગુર્જરી જ.
જેને અત્યારે આપણે દક્ષિણ ગુજરાત કહીએ છીએ, તે દેશ પહેલાં ગુજરાત કહેવાતો ન હતો. તે લાટ દેશ ગુજરાતથી તદ્દન જુદો દેશ હતો. ૧૪મી સદીમાં લાટ (મહી નદીથી આબુ સુધીનો પ્રદેશ) ગુર્જરમંડલમાં દાખલ થયું. સૌરાષ્ટ્ર પણ ૧૨મી સદીમાં ગુર્જરમંડલમાં ગણાતું ન હતું. ૧૩મી સદીના અંતમાં અને ૧૪મી સદીની શરૂઆતમાં લાટ અને સૌરાષ્ટ્ર ગુર્જરમંડલમાં દાખલ થયાં.
મુસલમાન લોકોએ અણહિલ પાટણ અથવા નરવાલા જીતી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સર કર્યાં અને તે દેશોને પણ તેઓ ગુજરાતના નામથી ઓળખવા લાગ્યા, એટલે નરવાલાથી જે દેશનો કારભાર થતો તે બધા દેશ ગુજરાત તરીકે કહેવાયા. નરવાલામાં ગુજરાતનો સૂબો રહેતો અને તેની નિમણૂક દિલ્હીથી કરવામાં આવતી. અત્યારે પણ સૌરાષ્ટ્રના વતનીઓ તેઓની જાતને ગુજરાતી નહિ પણ, સોરઠી કે કાઠીયાવાડી કહે છે. અમદાવાદના નાગર બ્રાહ્મણ થોડાં વર્ષો અગાઉ પણ સુરતનાં તેમનાં સગાંને કોંકણી કહેતા.
પુરાણો કહે છે, જૂના કાળમાં જ દ્વારકાનો સમુદ્રથી કે બીજા કોઈ કારણથી નાશ થયો હોય એમ લાગે છે. આ રીતે સમુદ્રની હદ આગળપાછળ થયાના બીજા ઘણાં દાખલા કાઠિયાવાડના ઇતિહાસમાં જોવામાં આવે છે. પાંચમી સદીમાં વલ્લભીપુર બંદર હતું. આજે એ સ્થળ સમુદ્રથી સાત માઈલ છેટે છે. દીવ આજે બેટ છે. ૧૨૦૦ વર્ષ ઉપર એ દ્વીપ મુખ્ય જમીન સાથે જોડાયેલો હતો. સમુદ્રના આવા ફેરફારોમાં જૂનું દ્વારકા આવી ગયું હોય તો એ સંભવિત છે. જૂનું દ્વારકા ગિરનાર પાસે જૂનાગઢની જગ્યાએ હતું _એમ કેટલાકનું માનવું છે.
એમ પણ કહેવાય છે કે, ભગવાન મનુના પુત્ર યયાતિને સુકન્યા નામની એક પુત્રી અને ઉત્તાનબર્હિ, આનર્ત અને ભૂરીષેણ નામના ત્રણ પુત્ર થયા. આનર્તના પુત્ર રેવતે સમુદ્રની વચ્ચે નગર સ્થાપીને તેમાં પોતાની રાજધાની કરીને આનર્ત દેશ ઉપર રાજ્ય કર્યું. આ રેવતે સ્થાપેલી નગરી કુશરથલી તે જ દ્વારકાપુરી. આધુનિક ઐતિહાસિક દ્રષ્ટિથી વિચાર કરીએ તો એમ લાગે છે કે, આનર્તમાં આર્યો આવ્યા ત્યાર પહેલાં રેવત તરફ ગયા. રેવત એ ગિરનારનું એક નામ છે. કાઠિયાવાડ ગુજરાતમાં ઘણા જૂના કાળથી ગિરનાર પ્રસિદ્ધ છે. પહેલી વસતી રેવત એટલે ગિરનારની તળેટીમાં થઈ હશે અને ત્યાંથી વસતી રેવતી કે દ્વારકા ગઈ. ત્યાં સઘળા યાદવો સહિત કૃષ્ણ અને બળરામ રહેતા હતા. પ્રથમ તો આ નગરી જમીન ઉપર જ હતી, પણ જરાસંધ અને કાળયવન વગેરે આવી આવીને ઉપદ્રવ કરતા હતા, તેથી કૃષ્ણે વિશ્વકર્માની પાસે એને સમુદ્રમાં કરાવી. કૃષ્ણના સ્વધામ સીધાવ્યા પછી સાતમે દિવસે એને સમુદ્રદેવે જળમાં સમાવી લીધી હતી એમ મનાય છે.
દ્વારકાના જોવાલાયક સ્થળોમાં મુખ્ય શ્રી રણછોડરાયજીનું મંદિર ઘાટની પાસે જ ગોમતી નદીને કાંઠે છે. આ મંદિર શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રનાભે બંધાવેલું કહેવાય છે. દંતકથા એમ પણ છે કે, એ મંદિર તો વિશ્વકર્માએ પોતે જ એક રાત્રિમાં બાંધી દીધું હતું.
દ્વારકા, પ્રભાસ અને ગિરિનગર જેટલું જ જૂનું છે. જૂના વખતમાં દ્વારકા યાત્રાના સ્થળ તરીકે પ્રખ્યાત ન હતું. સાહિત્યના પુરાવા ઉપરથી ઇ.સ. ૧૨૦૦ પછી દ્વારકા વૈષ્ણવ તીર્થરૂપે સવિશેષ પ્રસિદ્ધિ પામ્યું હોય એમ જણાય છે. જો તે પ્રખ્યાત હોત તો, મુસલમાન લોકોની દ્રષ્ટિ બહાર જાય જ નહિ અને તે પ્રખ્યાત નહિ હોવાથી જ મુસલમાન લોકોના હુમલાઓથી બચવા પામ્યું છે. ગુજરાતના પ્રાચીન મંદિરોમાં દ્વારિકાના શ્રી રણછોડરાયજી મંદિર કરતાં પણ કોઈ મદિર પ્રસિદ્ધિ પામ્યું તો તે ભગવાન શિવના મૂળ ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક એવું સોમનાથ મંદિર જેનો ઉલ્લેખ ઋગવેદમાં પણ કરવામાં આવ્યો છે.
દંતકથાઓ અને ધર્મશાસ્ત્ર અનુસાર, સોમનાથનું મંદિર ચાર તબક્કાઓમાં બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. સોનામાં ભગવાન સોમ દ્વારા, ચાંદી રવિ દ્વારા, લાકડાંનું ભગવાન કૃષ્ણ દ્વારા અને મહારાજા ભીમદેવ દ્વારા પથ્થર. ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામે ક્ષત્રિય હત્યા પછી આ સ્થળે જ તપશ્ચર્યા કરી અને ભગવાન સોમનાથના આશિર્વાદથી મુક્ત થયાં હોવાનું કહેવાય છે. શ્રીકૃષ્ણે સ્વધામ સીધાવવા સોમનાથની નજીક ભાલકા અર્થાત પ્રભાસ પાટણ જ પસંદ કર્યું હતું.
સૌપ્રથમ ૧૦૨૪માં મહમદ ગઝનવીએ સોમનાથનું મંદિર તોડ્યું હતું. આ બનાવ પછી પણ અંદાજે ૧૨૨૭, ૧૩૧૮, ૧૩૯૫, ૧૫૧૧, અને ૧૫૨૦માં એમ કુલ પાંચ વખત આ મંદિર ઉપર હુમલા થયા હતા. પરંતુ દરેક વખતે સ્થાનિક હિંદુઓએ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ઇતિહાસપ્રસિદ્ધ મરાઠા રાણી અહલ્યાબાઈએ ઈ.સ. ૧૭૮૩માં મંદિરને પુન: સ્થાપિત કરવા પ્રયાસ કર્યા. પણ તેનું સમારકામ થઈ શકે એમ ન હતું. એટલે અહલ્યાબાઈએ પડોશમાં બીજું મંદિર બંધાવ્યું આ છઠું મંદિર થયું. આજે બંધાતું મંદિર સોમનાથનું સાતમું મંદિર છે.
સાલ ૧૦૨૪માં સુખશાંતિથી જીવતી પ્રજા પર મુઘલવંશે આક્રમણ કરી અરાજકતા ફેલાવવાનું કામ કર્યું એ જ અરસામાં પંચમહાલ જિલ્લામાં આવેલ અને ગુજરાતના હિમાલય તરીકે પ્રસિદ્ધ પાવાગઢની તળેટીમાં રાજા વનરાજ ચાવડાએ તેના મંત્રી ‘ચંપા’ના નામ પરથી નવમી સદીમાં ચાંપાનેર શહેર વસાવ્યું હતું, તેમ કહેવાય છે. અહીં, સાક્ષાત કાલિકા માતાજીનો વાસ છે. એમ પણ કહેવાય છે કે, પતાઈ રાજાના અવિનયને કારણે દેવીના કોપથી આ શહેર નષ્ટ પામ્યું હતું. ભગવતી મહાકાલીની પીઠ તરીકે પ્રસિદ્ધ આ પાવાગઢના ડુંગર ઉપર કાલિકામા બિરાજમાન હોવાથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અહીં આવે છે. વળી, આ સ્થાન મહર્ષિ વિશ્વામિત્રની ઉપાસનાનું મુખ્ય સ્થળ પણ માનવામાં આવે છે. બીજી રીતે પણ આ ડુંગરની ઘણી મહત્તા છે. ચિતોડગઢ અને પાવાગઢ એ બે ગઢ રાજકીય દ્રષ્ટિથી અત્યંત અગત્યના સ્થાન મનાય છે. આ બંને ડુંગર કુદરતી રીતે જ એવા ઉત્પન્ન થયેલા છે કે, તે ઉત્તમોત્તમ કિલ્લેબંધીની ગરજ સારે. ચાંપાનેરી તરવાર તેની ધાર અને ફૈઝાબાદી મૂઠને લીધે જાણિતી છે.
અહીં, અચૂક જણાવવાનું કે, અકબરના વખતમાં થયેલ મૂળ ચાંપાનેર ગામના ગવૈયા બૈજુ બાવરાએ હરિદાસ નામના સંત પાસેથી સંગીત શિક્ષણ મેળવી અકબરના મશહૂર સાત રત્નોમાંના એક ગવૈયા તાનસેનને પરાસ્ત કર્યો હતો.
આવું જ ગુજરાતનું એક પુરાણું નગર અમદાવાદની ઉત્તરે ૬૬ માઈલ દૂર આવેલું, અણહિલવાડ; અણહિલપુર; ઉત્તર ગુજરાતમાં અવેલું પાટણ શહેર; નરવાલા. સિદ્ધપુર એટલે શ્રી-સ્થળ અર્થાત પવિત્ર સ્થળ. દંતકથા મુજબ મહાન ઋષિ દધ્યન્ચા અથવા દધીચીએ અહીં સિદ્ધપુરમાં જ ભગવાન ઇન્દ્રને પોતાના હાડકાં દાનમાં આપ્યાં હતાં. સોલંકી શાસક વનરાજે ઈ.સ. ૮૦૨માં અણહિલ નામના ભરવાડ ઉપરથી તેનું નામ અણહિલપટ્ટણ રાખ્યાનું કહેવાય છે. દસમી સદીમાં સોલંકી શાસનકાળમાં આ શહેરની ખ્યાતિ પરાકાષ્ઠાએ પહોંચી. વળી, બારમી સદીમાં શિવભક્ત રાજા સિદ્ધરાજે ‘રુદ્ર મહાલય’ બંધાવ્યું, જેની શિલ્પ કારીગરી એટલી પ્રસિદ્ધ થઇ કે, સોમનાથ તરફ આક્રમણ કરવાં જતાં મહોમ્મદ ઘોરીએ માર્ગમાં આવતાં આ પાટણ શહેર પર પણ ચડાઈ કરી. લગભગ ૩૦.૦૦૦ જેટલાં લોકો મોતને ભેટ્યાં અને અંતે સોલંકી સામ્રાજ્યનો નાશ થયો. પંદરમી સદીમાં આ શહેર અકબરના શાસન તળે આવ્યું.
અહીં આવેલાં બિંદુ સરોવરમાં “માનું શ્રાદ્ધ” જેવાં સૌથી કઠીન કાર્ય કરવાં દૂરદૂરથી લોકો આવે છે. તો વળી, ગુજરાતણ પરગામ જતાં વાલમ પાસે અચૂક માંગણી મૂકે છે, “છેલાજી રે.. મારે હાટું પાટણથી પટોળાં મોંઘા લાવજો…” પાટણ અને સાહિત્યને સદીઓ પુરાણો નાતો છે. ૧૫માં સૈકામાં ભાલણ નામનો વેદાંતી કવિ થઇ ગયો, વતન પાટણ. ભાલણનો પૂર્વકાળ તે નરસિંહ મહેતાનો ઉત્તરકાળ હતો.
“રાજનીતિનાં રમકડાં એ માગે ધનુષ્ય ને ચાપ, ભાલણ પ્રભુ રઘુનાથ ભજતાં ટળશે તનના તાપ.”
વધુ આવતાં અંકે..
_આરતી પરીખ
“કળયુગમાં સ્ત્રીનો ઉદ્ધાર સ્ત્રીને જ હાથ…”
સ્ત્રી અભણ હોય કે શિક્ષિત, ઘરમાં હોય કે જાહેર સ્થળમાં, દુનિયાના કોઈ ખૂણે સુરક્ષિત નથી જ. વળી, સ્ત્રીની અસુરક્ષામાં સ્ત્રીની ‘બિચારી માનસિકતા’ પણ એટલી જ જવાબદાર છે. સ્ત્રીને પોતાને સશક્ત થવાની જરૂર છે. સશક્ત અર્થાત શારીરિક અને માનસિક તો ખરું જ સાથોસાથ સામાજિક સશક્તા. સ્ત્રીઓ વચ્ચેનું ગઠબંધન જેટલું મજબૂત થશે એટલી એમની જ સુરક્ષા વધશે.
સ્ત્રી એ ઘર, સમાજ, સંસ્કૃતિની જડ છે. ‘જડ-મૂળ’ મજબૂત હશે તો ઘટાદાર વૃશની આશ રહેશે ને વર્ષો સુધી છવ આપશે. ઘરથી માંડીને સમાજ..દેશ..વિશ્વને જાગૃત કરવાં જેટલી સક્ષમતા સ્ત્રીમાં છે.
અફસોસ એ જ કે, ભાગ્યેજ કોઈ સ્ત્રી પોતાની સક્ષમતા વિષે જાગ્રત છે.
પુરૂષને જન્મ આપનાર, સંસ્કારસિંચન કરનાર સ્ત્રી જ છે. એ અર્થે જુઓ તો, આ બળાત્કારી પુરૂષો પાછળ એક નાકામિયાબ ‘સ્ત્રી/મા/બહેન/પત્ની’ જ જવાબદાર છે.
મે ‘લેસ્લી ઉડવીન’ની બહુચર્ચિત ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ નથી. પરંતુ, મારી દ્રષ્ટિએ તો એક સ્ત્રી તરફથી આ સશક્ત શરૂઆત છે. અહીં, પુરૂષ, જે-તે સમાજ કે દેશની માનસિકતા છતી થાય એટલે હોબાળો મચશે જ, સામાન્ય બાબત છે. આમપણ, આપણા દેશવાસીઓની માનસિકતા ગાડરિયાપ્રવાહ જેવી છે. “હો.. હા..” કરવામાં પહેલાં નંબરે.. ઠોસ કામ કરવાનું કહો તો, પંચ બેસાડવાની જરૂર પડે. કોઈ વ્યક્તિગત જવાબદારી લેવાં તૈયાર જ નથી.
સ્ત્રી તરફથી એક સશક્ત શરૂઆતની જરૂર છે.
“કાયદા કી ઐસીતૈસી” કરી બળાત્કારી પુરૂષને જાહેરમાં જ એની મા/બહેન/દીકરી કે પત્ની નપુંસક બનાવે અને જીવતાં રહેવાં મજબૂર કરે…. જુઓ પછી ચમત્કાર…
પણ, સાલ્લો પ્રોબ્લેમ અહીં જ છે.
મોટાભાગના કિસ્સાઓમાં બળાત્કારી પુરૂષને એની મા/બહેન/પત્ની જ સૌથી પહેલો સાથ આપે છે.
એ અર્થે,
સ્ત્રી જ સ્ત્રીની સૌથી પહેલી અને સૌથી ખતરનાક દુશ્મન સાબિત થઇ જાય છે.
આશ એક જ…
કદીક તો,
હે સ્ત્રી,
તું સંબંધોનો માયાજાળમાંથી મુક્ત થઇ,
એક “સ્ત્રી” બની કંઇક વિચાર.. જીવવા કોશિષ કર..
હે ‘સ્ત્રી’,
રામ-કૃષ્ણ પુરાણોની વાત,
તારો ઉદ્ધાર તારે જ હાથ…………..
હું બીજાની લીટી ભુંસવામાં માનતી જ નથી.
આપણી લીટી જ લાંબી ને ઘાટ્ટી કરવાની….
પુરૂષનું સંસ્કારસિંચન સ્ત્રી જ કરે છે.
તો એ અર્થે,
સ્ત્રીએ એની જ માનસિકતા સુધારવાની જરૂર છે.
…………………………………………………………. આરતી પરીખ (૨૦૧૫)
કાચી કેરી જેવું ખાટુંમીઠું બાળપણ
વાર્ષિક પરીક્ષાઓ પૂરી થઇ નથી કે બધાં ઘરોમાં મહેમાનોનો રાફડો ફાટે. “મામાનું ઘર કેટલે…?” મામા ન હોય કે બહુ દૂર રહેતાં હોય એ બધાં દાદાજી/મોટાબાપા/નાનાજીના ઘરની વાત પકડે. કાં’ તો આપણે કોઈકના ઘરે મે’માન થઇ ગુડાણા હોઈએ કાં’ કોઈકે આપણે ઘેર ધામા નાખ્યાં હોય… એ’ય આપણા માટે તો મોજ્જા એ મોજ્જા ના દિવસો..
ઘરઘર, પાંચીકા, ઇસ્ટો, કેરમ, સતરંજ, ચોપાટ, લખોટી, ભમરડાં, સાતતાળી, આંધળોપાટો, સંતાકુકડી, નાગોલ/સતોડિયું, લંગડી…આહાહ… કેટકેટલી રમતો…
ને,
ગરમી લાગે એટલે જીભની સાથોસાથ, રોજ સવારસાંજ આપણી શેરીમાંથી જ નીકળતી માટલાં કુલ્ફી ને બરફગોળાની લારીની ઘંટડીનો અવાજ સાંભળવા કાન પણ તરસવા લાગે…. ને, ધીરજ ખૂટે…બરફગોળા વાળા ચાચાને આંખોના ભવા ચડાવતાં મોટામાણાના ઠાઠથી વહેલાં આવવા ટકોર પણ કરીએ…
એકબાજુ ઘરમાં મે’માનનો રાફડો ફાટેલો હોય, મમ્મી, કાકી/મામી/માસી/ફૈબા બા,નાનીમા બધાં જ આખો દિ’ રસોડામાંથી ઊંચા જ ન આવતાં હોય. વરાની રસોઈ હોય એમ સવારસાંજ થોકબંધ રોટલી/ભાખરી/થેપલાં/પૂરી…. એમાંય આ તો ઉનાળું રજાઓ… કેસર ને હાફુસ કેરીની સીઝન.. બૌ તોફાને ચડીએ ત્યારે બ/નાનીમા થોડીવાર હડીયાપટ્ટી ઓછી કરવાં આખી ફોજને ઓસરીમાં લાઈનબંધ બેસાડી દે. એમાંય, ચિલ્લરપાર્ટીને તો જાંગીયાભેર જ…કેરીઓ ઘોળાતી જાય ને એકએકના હાથમાં અપાતી જાય…
આહાહ…કેરી ઘોળતાં જાવ ને ચૂસતાં જાવ… કોઈની કોણીથી રસ ટપકે..તો કોઈની ડૂંટીએ રસ અટકે…. શું આપણું બાળપણ હતું…..
ને પાછી આ તોફાની ટોળી બપોર પડ્યે દાદીમા/નાનીમાની સોડમાં એવી જ શાંતિથી પોઢી જાય….હાશશશશ્……
ને, ઠામડા મંજાય જતાં ઘરની સ્ત્રીઓ આ તોફાનીઓ ત્રાટકે એ પહેલાં અથાણાંના કામમાં પરોવાય. મીઠું-હળદર ચોળીને રાખેલી થાનની બરણીને માથે બાંધેલું કપડું ખૂલે… ઓસરીમાં જૂનો સાડલો પથરાય…ને, પીઠી ચોળી નીકળ્યાં હોય એમ મીઠું-હળદર દીધેલાં કાચી કેરીના ટુકડાં સાડલામાં’ય પીળી ભાત પાડવા ગોઠવવા લાગે….
આહાહ…. શું એ ખાટ્ટીમીઠ્ઠી સુગંધ….આખા ઘરમાં પ્રસરવા લાગે… આખો દિ’ માટલાં કુલ્ફી ને બરફગોળા ખાઈને સાવ સુન્ન થયેલું શરદીથી સૂડસૂડ થતું એકાદ નાક આ ખાટ્ટી સુગંધથી ખુલી જાય…ને…..એવાં શેડા ચડાવે કે, દાદીમાની સોડમાં સુતેલી આખી ફોજ ચોક્કની થઇ જાય… મામી/કાકી/મામી ઓસરીમાંથી જાય એની જ રાજ જોવાતી હોય…ઊંઘવાનો તો ડોળ માત્ર હોય…
હળવેકથી જોયું કે,
દાદીમા/નાનીમાના નસકોરાં બોલે છે….એય્ય્ય્ય્ય……..ભાગો સીધાં ઓસરીમાં…ચપોચપ બે-ચાર-પાંચ કેરીના કટકા ઉપાડતાં જાવ ને ભાગતાં જાવ…સીધાં ચોકમાં…. કાકી/મામી/ફૈબાની રાડ પડે…
“એ મારાં રોયાં…ઉભારોરોરોરો…….અલ્યાવ આખા વરહનું અથાણું બગાડશો મારાં રોયાવ….”
વડીલો’ય જાણતાં જ હોય કે અડધોઅડધ તો છોકરાવ જ આરોગી જવાના છે એટલે એ પાક્કી ગણતરી સાથે જ કેરીઓ ઘરમાં આવી હોય…. 🙂
બસ, મીઠાં સંભારણાઓ….
હવે ઓસરી’ય નથી કે… નાનીમાનો સાડલો’ય નથી… કે ફૈબા/મામી/કાકીની મીઠી ટકોર પણ નથી… ને, “મામાનું ઘર કેટલે?!”_ય નથી…
પણ,
બાળપણના એ મીઠાં સંભારણા યાદ કરતાં હજી’ય અચૂક અથાણાં બનાવું છું… નસીબના ખેલ કે વિદેશમાં રહીએ છીએ પણ, દેશી રહેવું કે નહિ_એ તો આપણાં હાથમાં જ છે…. smile emoticon
~ આરતી પરીખ ૧૧.૬.૨૦૧૫
( આ ફોટામાં જેટલી ખાલી જગ્યા દેખાય છે એ બધાં જ ટુકડાઓ હું’ય કોઈકને ને કોઈકને દિલથી યાદ કરી એકાદ ડૂસકું ભરતાં આંસુઓ રોકતી… આરોગી ગઈ છું… હા, પતિદેવએ અચૂક ટકોર કરી હતી …. “બસ, કર…. સોજાં ચડી જશે…” પણ, આ બંદા માને ખરા ?!! )
दिलवालों की महफ़िल
हमारा यह शायराना अंदाज़,
उनकी नासमज़ की ही देन है !!
~~
सुबह सुबह कभी तो करने दो हमारे वजूद की बात,
रात को तो होनी ही है, सिर्फ और सिर्फ आपकी बात !!
~~
पूरी रात हाँ मे हाँ भरते हुए;
आपकी आगोश मैं पिगल जाती है..
नफ़रत करने वाले क्या जाने,
अपनों से हारके भी सुकून की नींद आती है !!
~~
कमबख्त दिमाग ने; दिल मैं पनाह देने की मंजूरी न दी,
उनकी दादागीरी तो देखो, सारी की सारी नींद ही चुरा ली…
~~
दिलवाले ही महोब्बत को महसूस करेंगे,
दिमागवाले तो,
पागलखाने भेजने का जुगाड़ करेंगे !!
~~
आरती परीख
સં_બંધ
સંચવાઈ ગ્યા સંબંધ,
લખ્યું’તું નસીબે ઋણ..
~~~
સિંચાઈ રહ્યાં,
લાગણી સરોવરે,
સંબંધો બધાં.
~~~
આરતી પરીખ